Archive

Posts Tagged ‘ક્રૉસવર્ડ’

“આક્રોશ”…” અર્ધસત્ય “…ને ઓમપુરી…

આક્રોશ”…” અર્ધસત્ય “…ને ઓમપુરી…

( તા.૨૦/૦૨/૧૯૮૮ના રોજની ડાયરી નોંધ )

ઓમપુરીને મેં પહેલીવાર ફિલ્મ “આક્રોશ”માં જોયેલો., તા.૧૭/૦૨/૧૯૮૮ ના રોજ . શીળીના ચાઠાવાળા એ અભિનેતાને ગોવિંદ નિહલાનીની આ ફિલ્મમાં જોતાં જ હું લગભગ સંમોહિત થઈ ગયેલો! મે ત્યારે ક્યાંક વાંચેલું કે ત્યારે તે મુંબઈની લોકલ ટ્રેનમાં સામન્ય ડબ્બામાં આ-જા કરતા હતા.

જમીનદાર સાથેના આદિવાસી ના સંઘર્ષની વાત આલેખિત કરતી આ ફિલ્મમાં તેનું પાત્ર, “ભીખુ લાહાન્યા”નું …ફિલ્મમાં શરૂથી અંત સુધી તે એક્કેય શબ્દ બોલતો નથી. કથાનાયિકા “નાગી લાહાન્યા”નું પાત્ર સ્મિતા પાટીલએ ભજવેલું.

પ્રપંચની રમત મંડાઈ છે. જમીનદારો કથા નાયકની પત્ની ઉપર બળાત્કાર કરી,ખૂન કરી,તેને જ ફસાવે છે…ખૂનના આરોપી તરીકે. નાયકને સજા થાય છે-મૃત્યુદંડની. ફિલ્મમાં અંતે કથા નાયકનો બાપ મૃત્યુ પામે છે; ત્યારે અગ્નિદાહ આપવા માટે તેને સ્મશાનભૂમિમાં લઈ જવામાં આવે છે. ત્યાં સળગતી ચિતાની સામે ઊભેલી તેની બહેનને જોઈને – એ શોષિત સમાજમાં- તેણીના ભવિષ્ય માટે મનોમન ગણિત માંડી…કથા નાયક અચાનક દોડે છે, પાસે ઊભેલી એક વ્યક્તિના હાથમાંથી કુહાડી છીનવી લઈને તેની બહેન તરફ , અને…!!

અંતે….

કિન્નરી” થિયેટરના વિશાળ પડદે ઊપસી આવેલો,ઓમપુરીનો ફિલ્મના કથા નાયક તરીકે ઊપસી આવેલો શીળીના ચહેરાવાળો એ ચહેરો ને તેની છેલ્લી ત્રણ દર્દનાક ચીસ. ખરેખર ત્યારે હું હચમચી ગયેલો…હજીય દૃશ્ય આટલા વરસો પછીયે આંખ આગળથી નથી હટતું- તેના મૂળમાં શ્રી નિહલાનીની અદભુત માવજત,સ્મિતા પાટીલ તથા ઓમપુરીનો સશક્ત અભિનય,મજબૂત કથાવસ્તુ અને સાંપ્રત સમાજને સ્પશર્તા પ્રશ્ન તરફનો અંગૂલિનિર્દેશ હશે કદાચ્…

તો મિત્રો સમય મળે તો આ ફિલ્મની DVD મળે તો શોધીને માણજો,પૈસા વસૂલ થવાની ગૅરંટી આપવામાં મને અહિ ઝાઝુ જોખમ જણાતું નથી.

******

અવતરણ-

દુષ્યંત કુમારની મને ગમતી પંક્તિઓ (  “સાયે મેં ધૂપ”…માંથી સાભાર – ) …તમારા માટે

१) अजमते मूल्क इस सियासत के,

हाथ निलाम हो रही है अव.

२) कल नुमाइश में मिला वो चीथडे पहने हुए,

मैंने पूछा नाम तो वोला कि हिन्दुस्तान है.