પ્રકરણ – ૨૫ કપટજાળ


પ્રકરણ - ૨૫   કપટજાળ

 ____________________________________________________________

વહી ગયેલી વાર્તા :    સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે  છે. માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક  થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ ચોકીદાર પવાર, ગિરધારી ,મિ.શર્મા, વિરજી, પરસોત્તમ ભરવાડ, રસેશ ગોધાણીની  પૂછપરછ  આદરે છે. પછી તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે અને ત્યાં સોનીને જોવા મળે છે એક પડછાયો વિજય રાઘવનના ફ્લૅટ પાસે! અને સોની સાથેની વાતચીત બાદ અચાનક માથુર ફરી ‘ત્રિવેણી’ એપાર્ટમેંટ પર જાય  છે – વેશપલટો કરીને ! ત્યાં પોતાના માણસો હોવા છતાં – ત્યાં જઈ માથુરે શું કર્યું ? તે આપે અગાઉના પ્રકરણ – ૧૦ થી ૨૪ માં વાંચ્યું …

ને પછી  આગળ….

રહસ્યકથા...“ઇન્ફોર્મરના અન્ય પ્રકરણ વાંચવા 

ઉપર આપેલી ટેબમાંથી જમણી બાજુની ” રહસ્યકથા… ઇન્ફોર્મર “ની ટેબ ઉપર ક્લિક કરો.

કે પછી  અહીં ક્લિક કરો -  / રહસ્યકથા – ઈન્ફોર્મર /

મારા માટે અત્યંત કિંમતી એવા, તમારા પ્રતિભાવો- કૉમેન્ટ્સમાં લખવા વિનંતી…બ્લૉગરૉલમાં આપેલ ગુજરાતી ટાઇપપૅડની મદદથી તમે ગુજરાતીમાં લખી શકશો.

આભાર.

કમલેશ પટેલ    

———————————————————————————————–

પ્રકરણ - ૨૫   કપટજાળ

“મહેન્દ્રપાલ સિંગ! જેલના સળિયા તો તારા નસીબમાં મીનમેખ છે પણ તું એકલો થોડો જવાનો છે કારાગારમાં, તને કંપની આપવા પવારને તો સાથે હશે જ….પણ ત્રીજી પણ એક વ્યક્તિને તારી સાથે મોકલીશ સમજ્યો! રહી વાત પ્રશાંત જાદવનો હત્યારાની!? એ તો હત્યારો આપણી વચ્ચે અહીં જ બેઠો છે!” માથુરે કહ્યું.

બધા આશ્ચર્યથી એક બીજાનું મોં જોવા લાગ્યા.

“પ્રશાંતભાઈ પાસે મેં આવી અપેક્ષા નહોતી રાખી!” રસેશ ગોધાણીએ વચ્ચે ટાપસી પૂરતા કહ્યું. 

 “મેં પણ નહોતી રાખી રસેશભાઈ! પ્રશાંત જાદવે જાણી જોઈને તેના ક્લાર્ક અજય ચેવલીને પોતાની  ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ ની ઓફિસે બોલાવી બેસાડી મૂક્યો હતો. તેનો હેતુ સ્પષ્ટ હતો આપણું ધ્યાન એ તરફ રહે અને પોતે બહારનો બહાર. તેણે મહેન્દ્રપાલ સિંગને ડુપ્લિકેટ ચાવી આપી રાખી હતી જેથી તેનાં કલાર્કને અંદર બંધ કરી રાખી શકાય! અજય ચેવલી લાઇટ સળગાવી આખી રાત મઝા કરતો રહ્યો…અને આપણે ઊંધી દિશામાં મગજ દોડાવતા રહ્યા. આ દરમિયાન  પ્રશાંત જાદવનો ઇરાદો તો કૈંક ઔર જ હતો…”

“શું?” રસેશ ગોધાણીએ પૂછ્યું.

“તમારી હત્યા કરવાનો રસેશભાઈ!!” માથુરે હાજર રહેલા સૌને ચોંકાવી દીધા.

“શું વાત કરો છો માથુર સાહેબ?!! પ્રશાંત અને મારી હત્યા?! મારી હત્યા એ શું કામ કરે? મારે કયાં તેની સાથે દુશ્મનાવટ હતી?” અસંખ્ય પ્રશ્નોનો મારો ચલાવતાં, ખુરશીમાંથી અડધો ઊભા થઈ જતાં રસેશ ગોધાણીએ ક્હ્યું. 

“બસ! આ જ સવાલ મેં સ્વગત પૂછેલો કે આ પ્રશાંત જાદવ, રસેશભાઈને જો મારવા ઈચ્છતો હોય, તો મારે શું કામ?…અને આ સવાલનો મારો પહેલો જવાબ હતો….કારણકે તમે વિજય રાઘવનના ભાગીદાર છો! અને જો વિજયને કોઈ વ્યાવસાયિક હેતુ માટે મારવામાં આવ્યો હોય; તો તમને પણ એ મારી શકે છે! બરાબરને? એટલે જ સ્તો હું તમારી પાસે પોલીસ પ્રૉટેક્શનની દરખાસ્ત લઈને મળવા આવેલો…ને તમે મને પ્રેમથી ના પાડી દીધેલી!..અને પછી મેં પણ તમને એટલા જ પ્રેમથી કહેલું કે તમને ના પાડવાનો અધિકાર છે અને તમારું રક્ષણ કરવાની મારી ફરજ છે_ એટલે જ તો તમને ચીખલીથી અહીં પોલીસ કવર હેઠળ લાવવામાં આવ્યા!” માથુરે હસતા હસતા કહ્યું. 

પછી માથુરે સોની તરફ ફરી આગળ ચલાવ્યું,”સોની! મેં‍ તને કહેલું કે યાદ છે?…કે અહીં કદાચ એક નહીં વધારે ભેજાં અહીં કામ કરી રહ્યાં છે. જો પરિસ્થિતિ હાથમાં ન રહી તો હવે કદાચ મને લાગે છે કે રસેશભાઈ ગોધાણીનો વારો છે?…ત્યારે મારા મગજમાં ગડમથલ આ એક જ વાતની હતી_ કે રસેશભાઈ, એ વિજય રાઘવનનો પાર્ટનર હોય, સંજોગવશાત્ તેઓ પણ હત્યારાઓની હડફટે ચઢી શકે એમ હતાં! અને તેમની હિલચાલ અને ગભરાટ મને કંઈક આ પ્રકારનો અંદેશો સૂચવતા હતા! તે રાત્રે વેશપલટો કરી હું મહેન્દ્રપાલ સિંગને  મળી ઘરે પહોંચ્યો કે થોડીવારમાં  રસેશભાઈએ ઘરે મારા મોબાઇલ ઉપર ફોન કર્યો હતો…બરાબર રસેશભાઈ? તમે મને સાપુતારા જઈ રહ્યા હોવાનું કહેવા માટે કોશિશ કરી રહ્યો હતા! છેવટે મારો સંપર્ક ના થતાં, તમે મને એસએમએસ દ્વારા સંદેશો મોકલી દીધેલો!”

“હા! સાચી વાત છે!” રસેશ ગોધાણી એ કહ્યું. 

“મને પણ એ નથી સમજાતું કે મુખ્ય ગુનેગાર એટલે કે હત્યાની સાજિશ રચનારનું મર્ડર થઈ ગયું છે અને બાકીના વિજયની હત્યાને અંજામ આપનારા બધા અહીં છે_ તો પ્રશાંત જાદવનું ખૂન કોણે કર્યું? કારણ કે મહેન્દ્રપાલ તો ‘રઘુપતિભવન’ પર હતો. માટે એ તો નથી જ. શું પવાર કે જે લાંબા સમયથી તારી એ ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ ની ઑફિસ પરની તારી મુલાકાત દરમિયાનથી ગુમ હતો તેણે કરી? કે પછી તેજપાલ કે પછી દિલાવર?” મહેતા સાહેબે પૂછ્યું.

“ના સાહેબ! મેં જાદવ સાહેબને નથી માર્યા!” પવારે કહ્યું.

“મારે પણ એમ કરવાની શું જરૂર? અને હું ઘારું ત્યાં સુધી તેજપાલને પણ નથી.” દિલાવર પણ બોલી ઊઠ્યો.

માથુરે મહેતા સાહેબ તરફ જોઈ કહ્યું, “સર! આપણા ખૂનીઓ ભ્રમણાનો દાવપેચ રચવામાં માહેર છે. તેઓ ભ્રાંતિનું એવું જાળું રચવામાં સફળ થયા હતાં; જેમાં હું તો શું કોઈ પણ આવી જાય. વિજયની લાશ હત્યા સ્થળેથી હટાવી નીચે લાવવા સુધી તેઓનો ઇરાદો સ્પષ્ટ હતો. તપાસને ગેરરસ્તે દોરવાનો. પછી પવાર તેમનું પહેલું મહોરું હતો. જે આપણને ગેરરસ્તે દોરવાનો માટે પ્રયત્ન કરતો હતો, પણ તે શકમંદ તરીકે ધ્યાને ચઢ્યો પછી મહેન્દ્રપાલ સિંગ ફિક્સ્ડ થયો. બંને મળી મિ.શર્મા, ગિરધારી, તેજપાલ, દિલાવરસિંગ, પરસોત્તમભાઈ ભરવાડ તરફ આપણું ધ્યાન દોરવામાં સફળ રહ્યા. આ કડીમાં વધુ એક નામ ઉમેરાયું _પ્રશાંત જાદવનું! ત્યારે જ્યારે તેણે અજય ચેવલી ને આગળ કર્યો…આયોજન પાકું હતું. અને અજય ચેવલી જેટલો જ મહેન્દ્રપાલ પણ એ બાબતથી અજાણ હતો…કે જાદવ તો બીજી રમત રમવા જઈ રહ્યો હતો…તે એ કે આપણને ગફલતમાં રાખીને પોતાનું કામ કરી જવું. અહીં એ છળિયેલ પણ પોતાની કપટજાળ ગુંથવામાં સફળ થઈ ગયો હતો.”

“સર! કાવતરાખોર તમારી સામે સંતાકૂકડી રમી રહ્યા હતા અને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એવો તમને ખ્યાલ આવ્યા બાદ, તમે પણ આ તેઓ સાથે આ ભ્રમજાળ દાવપેચમાં જોડાયા; તેવું કરવાનું તમને ક્યારે સૂઝ્યું…આઈ મીન તમે ક્યારે શરૂઆત કરી?” વિકાસે પૂછ્યું.

તેઓ જે ચાલ ચાલી રહ્યા હતા તે  રમતમાં માત કરવા માટે તેઓથી સવાયા પુરવાર થવા માટે મારી પાસે બીજો કોઈ આરો જ નહોતો_ તે એ કે મારે તેઓના જ રીતરસમ અને ચાલ ચાલી તેઓને પછાડવા. જે મને આમેય ગમતું રહ્યું છે. જેને હું ‘ફેલસી ઓફ ઇવૉકેશન’ એટલે કે ‘દગા ભરેલું આહવાન’ કહું છું! જો તેઓ આપણી સાથે આવી ગુમરાહ કરવાની રમત રમતાં હોય તો મને લાગ્યું કે તેઓને તેઓના હથિયારથી જ કેમ ના મારીએ? વિજયની હત્યા બાદ તેની લાશ પાસે તેના ઘરની તપાસ કરતાં જે પ્રથમદર્શી તથ્ય નજર સામે આવ્યા, ત્યારબાદ મને થયું કે પવાર તો નથી જ ! છે તો કોઈ બીજો જ..! પવાર અને મહેન્દ્રપાલ તો એસ.એસ.એસ.ના છે તેથી મેં તેઓથી શરૂઆત કરવાનું યોગ્ય ગણ્યું. પવારને ક્રૉસ-વાયરમાં લૉક કર્યા પછી મેં પહેલો ઘા કર્યો વેશપલટો કરીને! અને મહેન્દ્રપાલ સિંગને તેમાં આબાદ ભેરવાઈ ગયો. ત્યારબાદ પૂછપરછ દરમિયાન મિ.શર્માને અને ગિરધારી બિલકુલ નિર્દોષ હોવાનું પાકું થઈ ગયા પછી મેં મહેન્દ્રપાલને સિકંજામાં લેવા માટે વિચાર્યું. તેનો નિર્ણય મેં અચાનક મિ.શર્માને રોકી લીધો. તેમના સેવક ગિરધારીને શકમંદ તરીકે ઊભો કરી દીધો! રાતપાળી કરી આપણને ઉજાગરો કરાવનાર અજય ચેવલી ફ્રૅશ થઈને આવ્યો, તેને પણ સાથે જ ઊભો રાખી દીધો! મારે સાજિશ રચનાર સુધી એવો સંદેશો પહોંચાડવો હતો કે બેવકૂફ પોલીસ અંધારામાં ફાંફા મારી રહી છે; અને નિર્દોષને પકડી રહી છે. મને ખાતરી હતી કે પોતાના વતનના અંગત સેવક નિર્દોષ હોવા બાબતની, પોતાને ખાતરી થઈ જશે, પછી જો શકમંદ તરીકે હું ગિરધારીને પકડીશ; તો એ સાંભળી શર્મા સાહેબનો પિત્તો જશે, તેઓ હતાશ થઈ, આદતવશ બૂમાબૂમ કરશે અને મહેન્દ્રપાલ સુધી એ સંદેશો આપોઆપ પહોંચશે. ગિરધારીના કિસ્સામાં એમ જ થયું. વતનથી તાબડતોબ બોલાવતાં આવી પહોંચેલા ગિરધારી સાથે મુલાકાત બાદ, તે નિર્દોષ હોવાથી મિ.શર્મા નચિંત હતા. સાથોસાથ મહેન્દ્રપાલની પૂછપરછ થાય તે પહેલાં હું તેને , તે નિર્દોષ છે; એવા પ્રકારના ભ્રમમાં નાંખવા માંગતો હતો! મિ.શર્માએ પ્રચારક તરીકે ભૂમિકા બખૂબી ભજવી અને મને મદદ કરી! _ મહેતા સાહેબ પાસે પહોંચી તેમણે ત્યાંથી જ મને ફોન કર્યો; ત્યારે મારી સામે મહેન્દ્રપાલ સિંગ બેઠેલો હતો! મહેતા સાહેબ મિ.શર્મા સાથે હોવા છતાં, મારો ઇશારો સમજી ગયા કે કોઈક કારણ જરૂર હશે, જેને કારણે હું- ગિરધારી અને અજયને શકમંદની કૅટેગરીમાં મૂકી રહ્યો હતો… “

“…દરમિયાન મિ.શર્મા ગયા તે પછી મેઁ ગિરધારીને ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ ની  ઑફિસમાં અંદર લઈ જઈ સમજાવ્યો. મેં તેને ખાતરી આપી કે એ નિર્દોષ છે, એ બાબત હું સારી રીતે જાણું છું! આ તો ફક્ત અસલી ગુનેગારને ફસાવવાની ચાલ છે, માટે હવે હું કહું તેમ એણે કરવું અને પોલીસને કામમાં મદદ કરવી! એણે ફક્ત નાટક જ કરવાનું હતું! તે સમજી ગયો. મહેન્દ્રપાલ સિંગની ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ ની ઑફિસમાં આવે તે પહેલાં આમ મેં તેને તૈયાર રાખ્યો. એ મારો બેટો સવાયો કલાકાર પુરવાર થયો! તખ્તા પર કદી ના ગયો, હોવા છતાં નખશિખ કલાકારને ટપી જાય એવી ઍક્ટિંગ કરવા માંડ્યો. એવામાં આપણને આખી રાત લાઇટ ચાલુ રાખી, ભેજાનું દહીં કરનાર અજય ચેવલી આવી ગયો. હવે મારી પાસે તેની સામે ઊભા રાખવા માટે બે શકમંદ હતા. મહેન્દ્રપાલ થોડો બેફિકર થાય એવું હું ઈચ્છતો હતો. તેને મનોમન થયું કે તેની પોતાની ચાલ સફળ થઈ હતી અને પોલીસને બેવકૂફ બનાવવામાં એ સફળ થયો હતો! પણ તેમાં ભંગાણ ત્યારે પડ્યું જ્યારે અચાનક કોઈને પણ કહ્યા વિનાં પવારનું ‘રિલાયન્સ વેબ વર્ડ” પર જતો રહ્યો; અધૂરામાં પૂરું તેના કમનસીબે પ્રશાંત જાદવ સાથેનો તેનો સંપર્ક, વેશપલટો કરી મેં લીધેલી તેની મુલાકાત બાદથી, તુટી ગયો હતો! શું કરવું એ બાબતે તે થોડો અવઢવમાં હતો. પણ તાત્કાલિક કશું ના કરી શકવાથી તે મૂંઝવણ અનુભવી રહ્યો હતો. પવાર ક્યાં હતો? તે ખબર તેને નહોતી! પવારને હટાવવો તેના માટે અત્યંત તાકીદનું કામ બની ગયું હતું. પણ એમ કરતા પહેલાં પણ જાદવને એ જણાવવું જરૂરી હતું! પણ તેની સાથે વાતચીત થતી નહોતી! આ બધું ‘રઘુપતિભવન’ છોડ્યા વિના શક્ય નહોતું. તે આમથી ને તેમથી સાચી માહિતી મેળવવા અધીર થયો હતો. પણ તે ‘રઘુપતિભવન’ છોડી શકે એમ નહોતો!! મારે તેને બધી દિશામાંથી સાચી માહિતીથી અળગો રાખી, તેની અકળામણ વધારવી હતી_ “

“અને સર! પવારને બે વાર પકડવાનું નાટક કેમ? અને કેવી રીતે ભજવાયું?”

“હું હંમેશા માનતો રહ્યો છું કે ગુનેગારને મારી મારીને કબૂલ કરાવવા કરતાં, તેની પાસે જ ભૂલો કરાવવી ભ્રમ અને છલ દ્વારા! રીઢો ગુનેગાર ક્યારેક પોલીસ ટૉર્ચરને તાબે થતાં નથી. અંતે હાથમાં કશું આવતું નથી ને કેસ કોર્ટમાં નબળો પડી જાય છે. બહેતર એ છે કે ગુનેગાર જાતે જ, પોતે પુરાવા સુધી જાતે લઈ જાય! હું તેથી ગુનેગારને જરૂર જણાય તો છૂટો રાખું છું અંત સમય સુધી! અને તે બેફ્રિક્ર થઈ ભૂલો કરે છે…અને આવી બેપરવાઈથી તેણે કરેલી ભૂલ આપણો કેસ મજબૂત કરે છે. તેમાંય આ પવાર અને મહેન્દ્રપાલ જેવા મિલિટરીમૅન ને તોડવા, તો કદાચ કઠિન થઈ પડશે એવું મારું અનુમાન હતું. આમ, મારે પવારને છૂટો રાખવો જરૂરી હતો…તે છૂટો રહ્યો ને મને કામ આવ્યો, મહેન્દ્રપાલને દ્વિધામાં રાખવા! મારે મહેન્દ્રપાલ સિંગને, તેનો મોબાઇલ અને રિવૉલ્વર સાથે પકડવો હતો. મને મનોમન ખાતરી હતી કે તેની પાસે મોબાઇલ અને રિવૉલ્વર હોવા જ જોઈએ. પણ તે કઢાવવા કેવી રીતે? બીજું તે એકલો જ નહીં, મને તેના અન્ય સાથીદારોની પણ મને તલાશ હતી. આમ, અજય અને ગિરધારીને ઝાલીને મેઁ તેને નચિંત હોવાનો અહેસાસ કરાવ્યો. ત્યારબાદ મેં બીજું કામ કર્યું દિલાવરસિંગ સૈનીને ફોન કરવાનું! મહેન્દ્રપાલની સામે જ દિલાવરસિંગ સૈનીની સાથે વાતચીતમાં તેને જણાવ્યું કે તેના ત્રણેય માણસો મારી શંકાસ્પદની યાદીમાં નથી. સાથોસાથ તેની તરફેણ કરી રહ્યો હોય એમ અને જાણે મહેન્દ્રપાલ સિંગની ફરિયાદ ધ્યાને લીધી હોય એમ તેને તેના માણસોને મોબાઇલ સહિત અન્ય સવલત પુરી પાડવા બાબતે જણાવ્યું! એ વાતચીત દરમિયાન મહેન્દ્રપાલ સિંગના ચહેરા પર ખુશી હું વાંચી શકતો હતો! પછી થયું એવું કે મહેન્દ્રપાલ સિંગ બેઠો હતો, તે સમયે જ, અચાનક મિ.શર્મા સાથે ‘ત્રિવેણી’ પર તપાસ માટે ગયેલા સોનીનું આવવાનું થયું; અને જ્યારે તે એમ બોલ્યો કે પવારને ‘ત્રિવેણી’ના કોઇ રહીશે નથી મોકલ્યો! કે મને ઝબકારો થયો!  મેં નક્કી કરી લીધું કે મારે શું કરવું? અને હું બીજું કાર્ડ રમ્યો…મેં સોનીના કાનમાં ફૂંક મારી, અને થોડીવારમાં સોનીનો ફોન આવ્યો_ ઉધના સ્ટેશન પરથી પવાર પકડાયો!! પણ હકીકત તો એ હતી કે સોનીએ ફક્ત મને કોલ કર્યો હતો, તે સામે ક્યાં કશું બોલતો હતો? હું જ બોલતો હતો, મહેન્દ્રપાલને ભ્રમિત કરે એવું!!  સોનીને તો મેં મહેન્દ્રપાલની રિવૉલ્વર શોધવા મોકલી આપ્યો હતો! અને તે ન મળે તો નીચે યોગ્ય જગ્યા શોધી સંતાય રહેવા જણાવ્યું હતું! સોની તો ત્યારે જ યાદવ સાથે, ‘રઘુપતિભવન’ના પંપ-રૂમમાં ખાંખાંખોળા કરતો હતો! બસ, બધું ગોઠવાઈ ગયું એટલે મેં તેને એ નિર્દોષ હોવાનું જણાવી જવા દીધો…અને તે જતો હતો ત્યારે ઊંચા અવાજે મહેતા સાહેબને ફોન કર્યો_ એ સાંભળે એ રીતે. બીજીવાર જ્યારે પવારને ઇન્સપેક્ટર રાઠોડે પાંડેસરાથી પકડ્યો ત્યારે પણ સોની નીચે જ હતો! મને કોલ ડિટેઇલ્સની આધારે ખ્યાલ આવ્યો હતો જ કે મોબાઇલ તો તેની પાસે છે જ અને તે કોલ તો કરશે જ. ફક્ત એને બહાર લાવવા, થોડો ઉકસાવવાની, ઉશ્કેરવાની જરૂર હતી. પણ અંદરથી એને દુવિધા થતી હતી કે આ બધું શું થઈ રહ્યું છે!..”

“…તેણે તક જોઈ_ કે હવે કોઈ પોલીસવાળો ‘રઘુપતિભવન’ પર હાજર નથી! હું પાંડેસરા જવા નીકળ્યો ત્યારે નીચે ઊતરતા ઊતરતા…બોલતો ગયો હતો. સોનીને તો તેની પૂછપરછ ચાલતી હતી તે દરમિયાન બહાર જતા તેણે જોયો હતો. આ તરફ મહેન્દ્રપાલ સિંગને થયું કે એ તો ફાવ્યો! પણ પવારનું પકડાવું એને માટે સારા સમાચાર નહોતા. અને એ બાબત તેણે વિજય રાઘવનની સોપારી આપનાર પ્રશાંત જાદવને જણાવવી જરૂરી હતી. પણ તેના રાતના વારંવારના પ્રયાસ છતાં, પ્રશાંત જાદવને ફોન ન લાગતો નહોતો. તે આમ પણ અકળાયેલો હતો જ. એ અકળામણ અને કૈંક અસાવધાનીથી, તેણે આ તક જોઈ ફોન કર્યો પ્રશાંત જાદવને!… ને પ્રશાંત જાદવના મોબાઇલની રીંગ વાગી! તે પહેલાં જ એ મોબાઇલ મારા હાથમાં આવ્યો હતો. આ તરફ સોની અને યાદવ તેની હરકતમાં આવવાની રાહ જોઈ બેઠા હતા…અને પછી તેને મારો ‘પેક અપ’નો સંદેશો મળતા જ તેને રંગે હાથ ઝાલી લીધો.

“અને આમ, મહેન્દ્રપાલે મોબાઇલ કોલ કર્યો ત્યારે તેના કમનસીબે સામે પ્રશાંત જાદવ_ સૉરી આપણા સદનસીબે માથુર સાહેબ હતા!…પણ સર! તમે ‘પેક અપ’ નો સંદેશો આપવાનું ક્યારે નકકી કર્યું?” યાદવે કહ્યું.

“જ્યારે મારા હાથમાં આવેલા પ્રશાંત જાદવ ના મોબાઇલ ઉપર, મહેન્દ્રપાલ સિંગ જેવો પહેલો શબ્દ બોલ્યો એટલે જ મારું કામ લગભગ ૫૦% કામ તો થઈ ગયું જ હતું! અને તેણે આડકતરી રીતે પોતાના ગુનાની જરૂરી એવી ‘રેકૉર્ડેડ’ કબૂલાત મારી સામે કરી એટલે મેં તને “પેક અપ”નો સંદેશો મોકલ્યો…તમને બંનેને એલર્ટ થવાનો સમય પણ તો મારે આપવાનો હતો. મેં સલામતીના કારણોસર સોનીને કોલ કરવાને બદલે મેસેજ મોકલવાનું યોગ્ય માન્યું હતું. 

“માથુર એક મિનિટ! ગુનાની ‘રેકૉર્ડેડ’ કબૂલાત મને સમજ ન પડી?!” મહેતા સાહેબે માથુરને વચ્ચે જ અટકાવ્યો.

“વાત એમ છે સર! કે જ્યારે પ્રશાંત જાદવની ગાડીમાંથી મને તેનો મોબાઇલ મળ્યો ત્યારે નોકિયાના  આ એન- સિરિઝના મોબાઇલ ફોનમાં કદાચ કોલ રૅકોર્ડની સુવિધા સાથે અન્ય સોફ્ટવેર સપૉર્ટ હોય છે એવો મને અચાનક ખ્યાલ આવ્યો… મને થયું, કે કેમ ના મહેન્દ્રપાલ સિંગને એ બોલતો ત્યારે જ, તેના અવાજમાં ઝાલી ના લઉં? શક્ય છે કે એમાં કોઈક અત્યંત ઉપયોગી કબૂલાત હોય જે આ કેસને વધુ મજબૂત બનાવે અને સાચા ગુનેગારને સજા અપાવે…સાથોસાથ ઈન્ટેરોગેશન વખતે પણ લમણાંકૂટ ઓછી. પછી શું?…તેને હું પોપટની જેમ બોલતા સાંભળી રહ્યો…આ રહ્યો એ મોબાઇલ કહી માથુરે પોતાના ગજવામાંથી ફોન કાઢી બતાવ્યો.

હતપ્રભ મહેન્દ્રપાલ સિંગ ફાટી આંખે સાંભળી રહ્યો!!

“તો વિજય રાઘવનનો મોબાઇલ ક્યાં છે?”  મહેતા સાહેબે પૂછ્યું.

“આ રહ્યો એ મોબાઇલ! એ મારી પાસે છે. મહેન્દ્રપાલ સિંગે વિજયની હત્યા થઈ પછી એ લઈ લીધો હતો. પોતાના મોબાઇલ ભેગા જ બંધ હાલતમાં સંતાડી રાખ્યો હતો.” 

“અને સર! ૨૦ અને ૨૧ મી ડિસેમ્બરનું ડાયરીનું પાનું?” સોનીએ પૂછ્યું.

“તેં મને વિજયની ડાયરીમાં, એક પતાકડું મૂકી, ‘સ્પેશિયલ ટિપ’ લખી આપ્યું; ત્યારે મેં જોયું કે વિજય ડાયરી લખવામાં ખૂબ જ નિયમિત હતો, એ ડાયરીમાં લખાયેલી બધી જ વિગતો ખૂબ જ મહત્વપૂર્ણ અને વ્યવસ્થિત હતી. મેં જોયું કે એ પાનું કોઈકે ડાયરીમાંથી ખૂબ જ ખરાબ રીતે ફાડ્યું હતું. સાથોસાથ એ પાનાંની ડાયરીમાં બાકી બચેલી કાગળની કોર ખૂબ જ વાંકી-ચૂંકી ફાટેલી હતી. તેથી કોઇક ખૂબ જ ઉતાવળે એ કામ કર્યું હશે એવું મેં માન્યું. બીજી એક મહત્વપૂર્ણ વાત તો સ્પષ્ટ જ હતી કે ગમે તેટલી નકામી વિગતો લખી હોય, તો પણ કોઇ વ્યક્તિ પોતાની ડાયરીનું આ રીતે તો નહીં જ ફાડે, કમસે કમ વિજય જેવી હોંશિયાર વ્યક્તિ તો નહીં જ; તે પણ ડાયરીની વચ્ચેથી!! બહુ બહુ તો ડાયરીની પાછળના પેઈજનો આવો ઉપયોગ કરી શકે! પછી મેં ધાર્યું કે વિજયની પર્સનલ ડાયરીમાંથી પાનું ફાડવાનું કામ કોઇક એવી વ્યક્તિનું હશે કે જે વિજયને  ખૂબ જ નજીકથી ઓળખતી હોય! વળી, તેને ખબર હશે કે વિજય ડે-ટુ-ડે નિયમિત ડાયરી લખે છે! ઉપરની બાબત જો સાચી હોય તો મરે માટે એક અનુમાન કરવું બહું જ સહેલું હતું કે  ૨૦ અને ૨૧ મી ડિસેમ્બરનું ડાયરીનાં એ પાનાંની કોઇ એક બાજુ પર કે બંને બાજુ પર વિજયે કોઇ એવી વિગત લખી હશે; કે જે પેલી વ્યક્તિ માટે મુશ્કેલી રૂપ બની શકે એમ હોય! એવી વ્યક્તિ કે જે તેની ખૂબ જ નજીક હોય- આ વાત સમજી શકાય એવી છે, બરાબરને ગોધાણી સાહેબ?” એવું કહી અચાનક માથુરે રસેશ ગોધાણીને ચોંકાવી દીધો.

“હંઅ…શું કહ્યું માથુર સાહેબ?” રસેશ ગોધાણી કૈંક બીજા જ વિચારમાં ખોવાયેલો જણાતો હતો.

“તમે વિજય સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટૅક્સ – સૅલ્સટૅક્સનું કામકાજ કામ જોતા હતા! એમાં લખેલી વિગત કદાચ તમારાથી વધારે અગત્યની બીજા કોઈ માટે નથી!!” કહી માથુરે હાજર રહેલા સૌની સાથે રસેશ ગોધાણીને બીજો ઝાટકો આપ્યો.

“મને? મને શું કામ આવે એ ડાયરીનું પાનું?” રસેશ ગોધાણી અકળાયો.

“આ રહ્યું એ ડાયરીનું પાનું- જે પ્રશાંત જાદવની ગાડીમાંથી મને મળ્યું! કે જે તમે ત્યાં જાણી જોઈને તેની ગાડીમાં મૂકતાં ગયા હતા, પ્રશાંત જાદવનું ખૂન કર્યા પછી! તે પણ તમે સાપુતારા રવાના થયા એ અગાઉ! એમ કરી તમે બધી સિફતથી છટકી જવા માગતા હતા ને મિ.ગોધાણી?” માથુરે કહ્યું.

“મતલબ? તમે શું કહેવા માગો છો?” રસેશ ગોધાણી બોલ્યો.

“મતલબ હું તમને સમજાવું…તમે સાપુતારા જાવ એ પહેલાં તમે પ્રશાંત જાદવને રહેંસી નાંખ્યો. તમને એ પણ ખબર છે કે જાદવ જ વિજયની હત્યાનો મુખ્ય સૂત્રધાર છે! માટે તમે પ્રશાંતનો વિજયની હત્યા માટેનો હેતુ – એટલે કે આ ડાયરીનું પાનું- ત્યાં મૂકીને જાદવની હત્યાની હકીકતમાંથી હવા કાઢી નાંખવા માગતા હતા. બરાબર?”

“આ બાબત સદંતર ખોટી છે!” રસેશ ના પાડતો ચિલ્લાયો.

“થોભો મિ.ગોધાણી અકળાટ નહીં કરો! આપણે જરા હકીકત જાણીએ. માથુર! જરા વિગતે કહે તો…શું વાત છે? સાથોસાથ મને તું એ કહે કે આ પ્રશાંત જાદવ પર તને શક ક્યારે ગયો?” વચ્ચે મહેતા સાહેબ બોલ્યા.

 ”તમને હકીકત કહું છું સર! વિજયની હત્યા બાદ, પ્રશાંત જાદવને ખ્યાલ આવ્યો કે વિજય તો નિર્દોષ છે; તેથી તેણે અસલી ગુનેગાર રસેશનું કાટલું જાતે જ કાઢી નાંખવાનું વિચાર્યું. તેણે વિજયની હત્યા થઈ ત્યારથી જ પોલીસની બધા પર બાજ નજર હશે જ એવું તે  જાણતો હતો. પોલીસ સામે પોતાની હાજરી પુરાવા તેણે આ માટે મોહરા તરીકે અજય ચેવલીનો ઉપયોગ કર્યો. અજય ચેવલી ઘણીવાર ત્યાં રાત્રે રહેતો હતો. અજયના ખાસ શોખ બાબતે પણ તે માહિતગાર હતો. મહેન્દ્રપાલ સિંગ આમેય તેનો માણસ હતો. પોતાની ઓફિસની એક ચાવી તેને આપી રાખી હતી. અજય હમણાં આવું છું…આવું છું…એમ બહાનું બનાવે રોક્યો. મોડી રાત્રે તેને કહ્યું કે તે નથી આવવાનો! અજયભાઈ નચિંત થઈ પોતાનો નાસ્તો લઈ બેઠા! આખી રાત! ૭ થી ૭ રાતપાળીમાં આવતો મહેન્દ્રપાલે -ઉમિયાની- ઓફિસને બહારથી તાળું મારી બાકીનું કામ પૂરું કર્યું. પ્રશાંત જાદવ નો ઇરાદો તેની હાજરી પોતાની ઓફિસે દર્શાવવા માંગતો હતો અને બધાને ગફલતમાં રાખી, પોતાની રીતે રસેશનો નિકાલ કરવા માંગતો હતો. બીજું પોલીસ વધુ તપાસ કરે તો આ અજય ચેવલી જેવા તેના ભોળા કર્મચારીને, તે કોઇપણ રીતે ઇમોશનલ  બ્લૅક મેઇલીંગ કરી સમજાવી શક્યો હોત કે તે અહીં આખી રાત પોતાની ઓફિસમાં હાજર જ હતો. .. અજય! તને તારા શેઠ જાદવે તેમ કરવા કહ્યું હોત_ તો તું કરતે કે નહીં?”માથુરે અજયને પૂછ્યું.

અજય ચેવલી એ હકારમાં ડોકું ધુણાવ્યું.

“સર! જાદવનું ખૂન કરવાવાળો અને જેને લીધે વિજય રાઘવનને જીવ ખોયો_ એ તો છે આ હત્યાની પાછળનું અસલી ભેજું…આ મિ.રસેશ ગોધાણી – વિજય રાઘવનના પાર્ટનર!”

“શું પૂરાવો છે કે મેં એનું ખૂન કર્યું છે?” રસેશ ગોધાણી ફરી આકળો થયો.

“પુરાવો? આપું છું મિ.ગોધાણી!…તમને યાદ ના હોય તો યાદ કરાવું પ્રશાંત જાદવને ત્યાં આઈટીનો દરોડો પડ્યો હતો. એ દરોડા બાબતની ‘ટીપ’ તમે જ તો આઇટી વિભાગને આપી હતી! મને મળેલી માહિતી મુજબ તમારે પ્રશાંત જાદવ પાસે ખાસ્સી મોટી રકમ લેણી નીકળતી હતી, જે આપવામાં  પ્રશાંત જાદવ સાથે તમારી બોલાચાલી થઈ ગયેલી. આખરે થાકીને તમે હિસાબની એ રકમ, દરોડાની માહિતી આપનાર “ઇન્ફોર્મર” ને ચૂકવાતા તગડાં કમિશનમાંથી સરભર કરી લેવાનું વિચાર્યું. હું તમારું “ઇન્ફોર્મર” તરીકેનું નામ, ખાસ આઈટી કમિશનરની મંજુરીથી લઈ આવ્યો છું! ગોધાણી સાહેબ રૂપિયા ૨૦ કરોડનું કમિશન એ રકમ કંઈ નાનીસૂની રકમ નથી!!” કહી માથુરે રસેશ ગોધાણી પાસે આવી તેને ખભે હાથ મૂક્યો.

ગોધાણીની હાલત કાપો તો લોહી ના નીકળે તેવી હતી! 

“મિ.ગોધાણી! મહેરબાની કરી વધુ ચબરાક થવાની કોશિશ કરશો નહીં. બે દિવસની રઝળાટથી ત્રસ્ત મારું દિમાગ મને તમારી પર હાથ ઉઠાવવા મજબૂર કરે તે પહેલાં, બોલવા માંડો ફટાફટ!” કહી માથુરે તેના ખભા પર મૂકેલા પોતાના વજનદાર હાથની, ભીંસ થોડી વધુ સખત કરી, તેને પોતાના અસલી મિજાજનો પહેલીવાર અહેસાસ કરાવ્યો.

ને રસેશ ગોધાણીએ બોલવા માંડ્યું, “- કમિશન મળ્યું ત્યારે મને એ વાતનો સંતોષ હતો. કે મારી પ્રશાંત જાદવ પાસે લેણી નીકળતી રકમ મને મળી ગઈ! પણ મારી એ ખુશી ઝાઝા દિવસ ના ટકી! હું ત્યારે ગભરાયો, જ્યારે મને મારા આઈટી વિભાગના મારા નજીકના મિત્રો દ્વારા ખબર પડી કે પ્રશાંત જાદવ, તેને ત્યાં રેડ પાડવા માટે, માહિતી આપનાર બાતમીદારને  શોધી રહ્યો છે! ત્યારે મને લાગ્યું કે ન કરે નારાયણ, જો ક્યાંક મારું નામ સામે આવી ગયું તો_?! તો પ્રશાંત જાદવ તેની આદત મુજબ મને છોડશે નહીં!  એવામાં એક દિવસ, મારે વિજયને ત્યાં જવાનું થયું. વિજય નહાવા ગયો હતો ત્યારે મેં ટેબલ પર પડેલી તેની અંગત ડાયરી જોઈ! હું અમસ્તો જ તેની અંગત ડાયરીનાં પાનાં પલટાવી રહ્યો હતો કે સહસા મારું ધ્યાન એક ટૂંકી નોંધ પર ગયું!  જેમાં ૨૦મી ડિસેમ્બર તરફના ભાગે લખ્યું હતું – પ્રશાંત જાદવને ત્યાં આવકવેરા ખાતાનો દરોડો! આર_ ની મોટી ભૂલ!- “

“_એ  ટૂંકી નોંધ જોઈ હું ચોંક્યો!  હવે આ બાબત મારી મુશ્કેલી બની રહે એમ હતી. વિજયને, હું જ જાદવના કિસ્સામાં ‘ઇન્ફોર્મર’ છું એ વાતની ખબર પડી ગઈ હતી! જો કે તે મને કશું કરી શકે એમ નહોતો. અને પ્રશાંત જાદવને ખબર નહોતી કે હું જ અસલી ‘ઇન્ફોર્મર’ છું. પણ રઘવાયો બની ‘ઇન્ફોર્મર’ને શોધી રહેલા પ્રશાંત જાદવના દબાણને વશ થઈ જો વિજયે સાચી હકીકત જણાવી દીધી તો?_ મને ભય લાગ્યો! મેં વિજય નાહીને બહાર નીકળે તે પહેલાં, એ ડાયરીનું પાનું ફાડી લીધું. પછી એક દિવસ વાતવાતમાં પ્રશાંત જાદવને, ધીમેથી તેને વિજય રાઘવનનું નામ દીધું. આમ, મેં એક કાંકરે બે પક્ષી મારવાનું વિચાર્યું. પણ મારા દુર્ભાગ્યે ખરેખર તેમ ન થયું! માથુર સાહેબ પોલીસ પ્રૉટેક્શનનું ગતકડું લઈ ઓફિસે આવ્યા. પોલીસ પ્રૉટેક્શન લઈ હું જાતે ગળે ઘંટ બાંધવા નહોતો માંગતો. એમ કરું તો મારી મુવમેન્ટ મૉનિટર થવાની શકયતા હતી એટલે મેં પ્રૉટેક્શન લેવાની ના પાડી..”

“…માથુર સાહેબ મારી ઓફિસે આવ્યા,  ત્યારે મને એમ જ હતું કે વાત અહીં પતી જશે; છતાં ખાસ સંજોગોમાં મેં થોડા દિવસ અહીંથી દૂર નીકળી જવાનો વિકલ્પ તૈયાર રાખ્યો હતો. માથુર સાહેબ મને મળીને નીકળ્યા પછી અચાનક કલાક બાદ, પ્રશાંત જાદવનો મારી ફોન આવ્યો! તેણે મને ખૂબ પ્રેમથી એમ કહ્યું – ગોધાણી સાહેબ, જલસા કરો! વિજય રાઘવન ગયો!! અને આજે કદાચ મારો મનોજ બિલ્ડર સાથેનો શાં‍તિનગર પ્રૉજેક્ટવાળો ઝઘડો પતી જશે; તો સાંજે મારા હાથ થોડો છૂટો! – હું કશું સમજ્યો નહીં! મને થયું કે તે કટાક્ષમાં તો નથી બોલી રહ્યો ને? હું ગભરાયો. મેં ઘરે આવી, બૅક-અપ પ્લાન મુજબ, વહેલી સવારે સાપુતારા નીકળી જવાનું ગોઠવી દીધું. પણ એ સાંજે મારે, મારા એક ખાસ મિત્રની લગ્નતિથિની ઉજવણીમાં જવું પડે એવું હતું. હું મારા ફેમિલી સાથે ત્યાં ગયો હતો…ને પ્રશાંત જાદવ નો મારી પર ફરી ફોન આવ્યો. મોબાઇલ પર તેણે મને કહ્યું – ચાલો, હવે આજે તમારો પેલો જૂનો હિસાબ પણ તમને આપી દઉં! આજે મારા શાંતિનગરવાળા કેસમાં પતાવટ થઈ ગઈ છે. એ સલવાયેલી મોટી રકમ આવે છે, તમને હું આજે જ તમારી લેણ આપી દેવા માંગુ છું! – મને નવાઈ લાગી! કારણકે એ રકમ આપવા માટે તેણે આ અગાઉ આનાકાની કરી હતી! – બોલો ક્યાં આવું?- તેણે મને પૂછ્યું.  હું ચોંક્યો! મેં તેને ચકાસવા માટે, મેં તેને મારા કે તેના ઘરે મળવા કહ્યું. તો જવાબમાં એણે મને કહ્યું – હું સચીનથી આટલી બધી રકમ લઈને ક્યાં તમારા ઘર સુધી આવવાનો?- મારી પાસે વિચારવાનો સમય ઓછો હતો. હું તેને કશુંક કહું તે પહેલા એણે મને કહ્યું – કે તમે તાત્કાલિક પાંડેસરા પહોંચો! મારા ક્લાઇંટની ફૅક્ટરી પર, બેમાંથી એક ગાડી મૂકી દઈશું  ત્યાંથી આપણે સીધા ‘સચીન-ડુમ્મસ રોડ’ પર થઈ ડુમ્મસ પહોંચીશું; મારા મિત્રના બંગલે. એક-બે પૅગ મારીશું, મજા કરીશું અને હિસાબ ચૂકતે કરી ઘરે!!! – મેં તેને મારા સાપુતારા જવાના કાર્યક્રમ બાબતે કહ્યું; તો એણે વધુ જીદ કરી અને એ એક રાત માટે મને માંડવાળ કરવા કહ્યું. હું ભયભીત થઈ ઊઠ્યો! મને લાગ્યું કે નક્કી પ્રશાંત ક્યાંકથી જાણી લાવ્યો હોવો જોઈએ કે વિજય હકીકતમાં નિર્દોષ હતો! મને ડર તો લાગતો હતો છતાં હું ના છૂટકે હું પાંડેસરા ગયો! પણ માનસિક રીતે પૂરી તૈયારી સાથે! નિયત સમય કરતાં હું વહેલો પહોંચી ગયો. એ આવ્યો. હું એની કારમાં બેઠો. અમે ચર્ચા ચાલુ કરી. તે ત્યારે જ ધૂમ પી ને આવ્યો હોય એવું જણાતું હતું. મેં ડુમ્મસ જવાનું કહ્યું તો કહે – હજી એક દોસ્ત આવવાનો બાકી છે આપણે થોડી રાહ જોવી પડશે! – અને મારા પેટમાં તેલ રેડાયું! ‘મને મારવાનો કારસો તો નથી ગોઠવ્યોને? મારી હત્યા માટે મારાઓ બોલાવ્યા હશે કે એ જાતે જ મારશે?…’ હું વિચારતો હતો. મને ભય લાગ્યો. ને સહસા મેં તેના ડૅશબૉર્ડ માં પિસ્તોલ જોઈ_ ને હું વધું ભયભીત બન્યો. મારી રિવૉલ્વર મારી ગાડીમાં હતી. મેં તેનું ધ્યાન ચૂકવી તેની રિવૉલ્વર લઈ લીધી. ‘હું મોબાઇલ ગાડીમાં ભૂલી આવ્યો છું, જરા લઈ આવું’ એવું કહી, માંડ તેની ગાડીમાંથી બહાર નીકળ્યો. ભયત્રસ્ત મનથી અને મને એ મારે તે પહેલાં; તેને ગફલતમાં રાખી, તેની ગનથીજ મેં તેને પતાવી દીધો! પણ સાચું કહું તો મારો તેને મારવાનો કોઈ જ ઇરાદો નહોતો. સ્વબચાવમાં જ મેં તેનું ખૂન કર્યું હતું. પણ મેં જો તેને ન માર્યો હોત_ તો તમે કદાચ તેને બદલે, આજે મારી હત્યાનો ખૂની શોધતા હોત માથુર સાહેબ!!… 

“અને પેલું ડાયરીનું પાનું તમે ડૅશબૉર્ડ માં એટલે મૂકી દીધું કે એ ડાયરીનું પાનું જોઈ વિજય રાઘવન હત્યા કેસ અને પ્રશાંત જાદવ હત્યા કેસનું ફીંડલું એક સાથે વળી જાય. ચોખ્ખી સાબિતી તમે મૂકી હતી! વાત સાફ હતી કે પોલીસને એ ડાયરીનું પાનું મળે કે એટલે એ હત્યાનું કારણ શોધતી મટે…કારણકે જેમાં સીધેસીધી વિજયની તમારી કબૂલાત હતી કે _ પ્રશાંત જાદવને ત્યાં આવકવેરા ખાતાનો દરોડો! મારી મોટી ભૂલ!_ આમ, વિજયની અંગત ડાયરીનું એ પાનું જોઈ હત્યાનો હેતુ-એટલે કે પ્રશાંત જાદવને ત્યાં દરોડા વિજયએ જણાવ્યા પ્રમાણે તેને કારણે પડ્યો હતો; અને તેથી પ્રશાંત જાદવે તેનું ખૂન કરાવ્યું હતું! પણ હકીકતમાં તમે વિજયે અંગત ડાયરીનાં એ પાનાં પર લખેલો -આર- શબ્દ ને હળવે હાથે સુધારી -મારી- શબ્દ લખી દીધો હતો. -આર- એટલે રસેશ ગોધાણી એ હું સમજી શકું છું મિ.ગોધાણી! …હવે એ પણ કહી દો કે એ ગન ક્યાં ફેંકી છે? તમે મારા માટે મૂકેલું એ ડાયરીનું પાનું આ રહ્યું!” કહી માથુરે એ ડાયરીનું પાનું પોતાના શર્ટના ગજવામાંથી કાઢી બતાવ્યું.

સૌ જોઈ રહ્યો, માથુરના હાથમાં રહેલું વિજયની પર્સનલ ડાયરીનું એ પાનું! 

નિરાશ અને ભાંગી પડેલો રસેશ ગોધાણી ક્યાંય સુધી કશું બોલ્યો નહીં એટલે માથુરે યાદવને ઇશારો કર્યો. કદાવર બાંધાનો યાદવ, રસેશ ગોધાણી પાસે હજી ગયો જ હશે કે તેની અવળા હાથની પડે તે પહેલાં બોલી ઊઠ્યો, ” એ રિવૉલ્વર મેં ત્યાં જ ઘટના સ્થળ પાસેના ગરનાળામાં નાંખી દીધી હતી!”

“થૅંક્યું મિ.ગોધાણી! સહકાર આપવા બદલ આભાર. તમને તો મેં ચીખલી ચૅકપોસ્ટ પરથી જ ઍરેસ્ટ કરી લીધા હતા! પોલીસ પ્રૉટેક્શનની બહાને! એ આઇડિયા કેવો લાગ્યો?”

ગોધાણી શું બોલે?    

“ઘણી જ રસપ્રદ નોંધ છે. સર! તમને રસેશ ગોધાણી પર શક ક્યારે પડ્યો?’ સોનીએ માથુરના હાથમાં રહેલી નોંધ વાંચી કહ્યું.

“હા! અહીં વિજયે – આર – રસેશ ગોધાણી- પર લખેલો શબ્દ ખૂબ જ મહત્વનો છે. બંને ધંધાની દ્રષ્ટિએ  એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. બંનેની અંગત પ્રવૃતિથી, બંને પરસ્પર વાકેફ હતા. તેથી વિજયની ડાયરીમાંથી આ પાનું- જો અગત્યનું હોય તો- કદાચ એ ફાડવાનું સાહસ ગોધાણીનું જ હશે એવું મેં અનુમાન બાંધેલું! પણ હું એ બાબતે ચોક્કસ નહોતો. મિ.ગોધાણીએ હમણાં જ થોડીવાર પહેલાં કહ્યું કે વિજયની હત્યાના દસેક દિવસ અગાઉ તેમનું વિજયના ઘરે જવાનું થયેલું ત્યારે મને ખાતરી થઈ ગઈ કે તે દિવસે જ તેમણે વિજયની અંગત ડાયરીની નોંધ  અનાયાસ જ વાંચી લીધી હશે. ત્યારે તેમને ખતરાની બૂ આવી હશે ને તેમણે એ કાગળ ફાડી લીધું. પછીથી તેમના માટે વિજયને હટાવવો જરૂરી હતો. આ અગાઉ એક બીજી પણ શકયતા હું જોતો હતો_ કે જો આ પાનું રસેશ ગોધાણી માટે મહત્વનું હોય; તો સંભવતઃ કદાચ કોઇક ત્રીજી વ્યક્તિ માટે પણ મહત્વનું હશે! અને જો ગોધાણીએ વિજયનું ખૂન એ ડાયરીનાં પાનાં માટે થઇ શકે, તો એ પાનાં માટે રસેશ ગોધાણીનું ખૂન કેમ ના થઈ શકે? આવું વિચારી હું રસેશ ગોધાણીને મળવા પહેલીવાર તેની ઓફિસે ગયો; ત્યારે ઉપરોક્ત શક્યતાને આધારે મેં તેને ચેતવણી આપવા પૂરતું અમસ્તું જ કહેલું કે- વિજયનો દુશ્મન તમારો પણ દુશ્મન હોય શકે! માટે તમે સાચવજો!- સાથોસાથ મેં તેને પોલીસ પ્રૉટેક્શન આપવાની વાત કરી ત્યારે તેણે બહાનું બતાવી પોલીસ પ્રૉટેક્શન લેવાની ના પાડી! અને બધું ઠરીઠામ થાય ત્યાં સુધી, ચૂપચાપ ફેમિલી સાથે હિલ-સ્ટેશન પર ચાલ્યા જવાની વાત કરી!! ત્યારે મને ભારે આશ્ચર્ય થયું કે જે માણસના માથે સંભવતઃ મોત ભમે છે, તે આમ પોલીસ પ્રૉટેક્શન લેવાની શા માટે ના પાડે છે!? અહીં અનાયાસ જ મારું તીર અવળું લાગી ગયું કે જેની મેં કલ્પના પણ નહોતી કરી!…

“એ શું સર?” હનીફે પૂછ્યું.

“મેં જ્યારે તેના ખૂનની શકયતાની વાત કરી ત્યારે તેને એ વાત સો ટકા સાચી માની લીધી! કે એનું ખૂન થશે જ!! કારણકે તેને તો ખબર જ હતી કે વિજયનું ખૂન પ્રશાંત જાદવે જ કરાવ્યું હતું! તેને ત્યાં પડેલાં આઇટી ના દરોડાને કારણે! તે ગભરાયો, કારણકે વિજયને માર્યા બાદ, ક્યાંક કોઈ ફૂટી જાય તો હકીકત સામે આવી જશે; તો પ્રશાંત જાદવ તેને પણ ગમે તે ઘડીએ ઉડાવી શકે એમ હતો! તેણે વિચાર્યું કે પોતાના માથે મોત, ત્યારે જ ટળી શકે એમ હતું કે જ્યારે પ્રશાંત જાદવને પોતે ખતમ કરી નાંખે! મિ.ગોધાણીએ સાપુતારા જવા માટે મને જણાવી દીધું. વળી પોતાની ઉપર પોલીસની નજર હશે જ એવું વિચારી તેઓ એલર્ટ તો હતા જ. કમનસીબે આપણે પવારને પાંડેસરાથી પકડેલો એટલે આપણી ધ્યાન પવાર પર હતું. તેમણે સહકુટુંબ હિલ-સ્ટેશન પર જવાનું ગોઠવી, પોતાના મિત્રના પ્રસંગમાં હાજર થવા માટે ઘરેથી નીકળી, ફેમિલીના સભ્યોને ત્યાં રાહ જોવાનું કહી ત્યાંથી ગયા સીધા પાંડેસરા … “

 ”અને હું ત્યાં એમના ઘર પાસે, તેની હિલચાલ પર નજર રાખતો બેસી રહ્યો સા…” સોની સહેજ ઉકળી ઊઠ્યો

“પ્રશાંત જાદવના કન્સલ્ટન્ટ હોવાને નાતે, તેના જમીન- બિલ્ડીંગ લે-વેચની, તમામ માહિતી વિજય અને રસેશ ગોધાણીને ખબર જ હતી. ચારેક મહિના અગાઉ જાદવની પૈસા બાબતમાં રસેશ ગોધાણી સાથે કચકચ થઈ ગયેલી. ગુસ્સામાં ધૂંવાંપૂંવાં થયેલા રસેશ ગોધાણીએ જાદવના કાળાં નાણાંની તમામ ગુપ્ત માહિતી આવકવેરા ખાતાને આપી દીધી! ને પછી પ્રશાંત જાદવને ત્યાં આવકવેરા ખાતાનો દરોડો પડ્યો. તને તો ખબર હશે કે આવકવેરા ખાતું કાળાં નાણાંની માહિતી આપનાર – ‘ઇન્ફૉર્મર’ને- ફાંકડું કમિશન ચૂક્વે છે. વર્ષોથી બિલ્ડર તરીકે કામ કરતાં કાળા ધંધામાં ખંધા પ્રશાંત જાદવને પહેલાં તો થયું હશે કે કોઈ ધંધાનો દુશ્મને જ આ કામ કર્યું હશે. તેણે તપાસ કરી હશે અને કદાચ તેને આવકવેરા ખાતાના ભષ્ટાચારથી અધિકારીઓએ પણ આ માહિતી આપી હશે! તેણે રસેશ ગોધાણી પાસે આ બાબતનો ખુલાસો માગ્યો હશે! ભલે મિ.ગોધાણી એમ કહે કે મેં વાતવાતમાં વિજયનું નામ આપી દીધેલું. પણ હકીકતમાં ત્યારે જાદવની સામે ગભરાઈને જ તેમણે વિજયનું નામ આપી દીધું હતું કે વિજયે જ આ ઇન્ફૉર્મેશન પહોંચાડી છે! માત્ર ચાલાકી આંતરિક સૂઝ અને વાક્ચાતુર્યથી ધંધો કરી જાણતાં, ચાર ચોપડી ભણેલા, કાચા કાનના પ્રશાંત જાદવે ઝાઝું મગજ વાપર્યા વિનાં, વિજય પર પોતાની ખીજ ઉતારવાનું વિચાર્યું. કાળાં નાણાંની ૨૦ કરોડ જેવી મોટી રકમની કબૂલાત કરી ચૂકેલા પ્રશાંત જાદવે ‘એસ.એસ.એસ.’ ના મહેન્દ્રપાલ સિંગને સોંપ્યું…ને પછી તો તને ખબર જ છે. દુર્ભાગ્યે જાદવના કાળાં નાણાંની માહિતી ‘લીક’ કરવાનું કામ રસેશ ગોધાણી એટલે કે – આર- નું જ છે, તેની સૌથી પહેલી ખાતરી વિજયને થઈ ગઇ હતી! તેથી તેણે પોતાની ડાયરીમાં ૨૦મી ડિસેમ્બર ના પાનાં પર નોંધ લખી હતી! તે નોંધ આકસ્મિકપણે રસેશ ગોધાણીના વાંચવામાં આવી હતી… આસિસ્ટંટ ડાયરેક્ટર ઓફ ઇન્કમટેક્સ, સુરત; આગળ આખો કેસ છતો કર્યો ત્યારે મહામહેનતે ‘ઇન્ફોર્મર’ તરીકે  રસેશ ગોધાણીનું નામ મળ્યું! આ બધું સોનીએ સમયસર આપેલી માહિતી અને ‘સ્પેશ્યલ ટીપ’ ને કારણે શક્ય બન્યું, વેલ ડન, સોની!” માથુરે સોનીને શાબાશી આપતા કહ્યું.

“તમારા પ્રેમાળ શબ્દો બદલ આભાર સર!… પણ ખરેખર તો સર! તમને જ સંપૂર્ણ યશના અધિકારી છો… અમે તો તમારી પાસે હજી એકડો શિખી રહ્યા છીએ. અમે માત્ર તમારી સૂચનાનું પાલન કરી રહ્યા હતા…” સોનીએ વિવેક કર્યો.

 ”માથુર! તમે જ નહીં સોની, હનીફ, વિકાસ, યાદવ, મોરે, ખન્ના સહિતની આપણી સમગ્ર ટીમ એક યુનિટની જેમ કામ કરી રહી હતી, તેથી આ સફળતા હાથ લાગી, માટે તમારી સમગ્ર ટીમને આ કેસ ઉકેલવા બદલ અભિનંદન! _”

કમિશનર મહેતાએ કહ્યું.

“આભાર સર!”

સમાપ્ત

9 Responses to this post.

  1. Posted by Brinda on 06/04/2009 at 11:46 AM

    bahu j saras reete gunthayeli rahasya katha.. cheelle sudhi jakadi rakhya ane aavta hapta no entejar karavyo. congratulations!!!!

    navi varta laeene kyare aavo chho?

  2. Posted by pooja dave on 06/04/2009 at 4:37 PM

    Very very good navalika.

  3. વાહ, ખુબ જ સરસ…સાચે જ દરેક હપ્તાનો વેઇટ કરાવ્યો… કમલેશભાઇ, હવે અમે જલ્દીથી બીજી નવલકથા ની આશા રાખી શકીએ ને ?

  4. Posted by skp on 07/04/2009 at 1:15 AM

    Very nice, waiting for another one.

  5. Posted by Milin Desai on 09/04/2009 at 7:24 PM

    કમલેશભાઇ,

    આ નોવેલ એટલી સારી છે કે હું એને વાંચવા માટે ખાસ ઓફિસ આવ્યો હતો. બહુ જ જોરદાર કથા છે. ખુબ ખુબ અભિનન્દન્.

    મિલિન દેસાઇ

  6. કમલેશભાઈ, રસપ્રદ રહસ્યકથા માટે અભિનંદન. અન્ય કથા માટે રાહ જોઉં છું.

  7. Posted by hiren on 13/04/2009 at 10:40 PM

    ભાઇશ્રી કમલેશ,

    ક્યાર નો શબ્દસ્પર્શ ઉપર કોમેંટ્સ મોકલવાનો પ્રયત્ન કરું છુ પણ સ્વિકારાતુ નથી.

    નીચે કોપી મુકેલ છે.

    ——————————————————————-

    છેલ્લે સુધી રહસ્ય જાળવી રાખવા બદલ આભાર.
    કથાનાં તાણાંવાણાંને સમજવા માટે વાંચકોનું ધ્યાન હટવા ન દિધું જકડી રખ્યા તે બદલ પણ આભાર.
    કમલેશભાઇ,પોલિસ ખાતાંમાં તમારો કોઇ મિત્ર છે?
    માથુર,તેનો ડ્રાઇવર હનિફ,સોની વગેરેને તો અમે જાણે નજીકથી જાણતાં હોય એમ લાગે છે.
    ખૂબ ખૂબ અભિનન્દન.

    હિરેન

    ——————————————————————–

  8. મિત્ર હિરેન
    તેઁ લખ્યું છે તે પ્રમાણે ના થવું જોઈએ. શક્ય છે કે તેં ઇ-મેઇલ આઇડી ન લખ્યો હોય! ઈલેક્શનના અત્યંત અગત્યના જરાય ફ્રી ના થઈ શકાય એવા, કામ વચ્ચે તેં બે શબ્દો લખ્યા તે બદલ હું તારો આભારી છું. ઘર શિફ્ટ કરતાં પહેલાં નો તારા છેલ્લો મેઇલનો આ જવાબ છે પછી નેટ બંધ !! પોલીસ ખાતામાં મારો કોઈ મિત્ર નથી દોસ્ત! પણ કદાચ તેમને બે શબ્દો કહી શકે એવા મારો મિત્ર છે … હિરેન !

  9. જો તમને ગુજરાતી વાંચવાનો શોખ હોય,તો મેં એક બ્લોગ શરૂ કર્યો છે જેમાં હું મારી વાર્તાઓ પોસ્ટ કરું છું…સમય મળે નજર નાંખશો…આભાર

Respond to this post