Home > ઇતરેતર, ક્રૉસવર્ડ, ડાયરી, તણખલું, મારી ડાયરીનું એક પાનું, વાસરિકા > ચંદ્રકાંતભાઈ અને વૃદ્ધાશ્રમની “ડોહીઓ” !

ચંદ્રકાંતભાઈ અને વૃદ્ધાશ્રમની “ડોહીઓ” !

ચંદ્રકાંતભાઈ અને  વૃદ્ધાશ્રમની “ડોહીઓ” !

હમણાં થોડા દિવસ પહેલા મારી ‘બ્રાયન ઍન્ડરસન’ કડીની  પ્રથમ પોસ્ટમાં જેને ઉલ્લેખ કર્યો હતો; એ ૧૭૦૦૦ ઑપરેશનમાં ઓ. ટી. ટૅકનીશ્યન તરીકે ફરજ બજાવનાર શ્રી વિનોદભાઈની સાથે હું ફોન પર વાત કરતો હતો,  ત્યારે મારા ઑફિસમાં અવારનવાર આવતાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા અમારા સહકર્મચારીનું અચાનક આવવાનું  થયું.તેમનું નામ ચંદ્રકાંતભાઈ પટેલ.

“કોણ વિનોદભાઈ છે.” તેમણે મારી વાતચીત પરથી અનુમાન બાંધ્યું.

મેં હકારમાં માથું હલાવ્યું.

“પછી મને આપજો. મારે  વિનોદભાઈનું કામ છે.” તેમણે મને વિનંતી કરી.

મેં મારી વાત પૂરી થતાં તેમને ફોન આપ્યો.

“વિનોદભાઈ! સી. ડી. પટેલ બોલું છું. મારે તમારું એક કામ છે. આ કમલેશભાઈ પાસે છે એ વૉકીંગ ટ્રાઈપોડ કેટલાની છે? ” તેમના  હાથમાં મારી તાજેતરના અકસ્માત બાદ હું વાપરતો હતો એ સ્ટીક હતી.

” — ” વિનોદભાઈએ કિંમત કહી.

“કામ? કામ એવું છે મારે આવી ત્રણથી ચાર સ્ટીક  જોઈએ છે.  વૃદ્ધાશ્રમમાં મારી બધી ડોહીઓની આપવાની છે! બિચારીઓને બહુ આબદા પડે છે.”  આ ચંદ્રકાંતભાઈ પટેલનો પોતિકો અંદાજ છે, વાતચીતનો! તેઓ સ્પષ્ટવક્તા, હાજર જવાબી, ઊર્જસ્વી  વ્યક્તિ  અને કર્મઠ  કર્મચારી છે.

ને કોણ જાણે કેમ અચાનક  મારા કાન સતેજ થઈ ગયા…

“સારું! એવું કરો વિનોદભાઈ, તમે કહો છો તેમ આ રવિવારે આપણે બંને સાથે વૃધ્ધાશ્રમ જઈશું. તમે પહેલાં  જોઈ લો કે ડોહીઓની જરૂરિયાત કેવી છે, પછી આપણે નક્કી  કરીશું!”

વૃદ્ધાશ્રમ? ડોહીઓ?..” મેં ચંદ્રકાંતભાઈ પર પ્રશ્નોનો મારો ચલાવી દીધો.

“…કમલેશભાઈ!  હું દર રવિવારે  વૃદ્ધાશ્રમમાં જાઉં છું. છેલ્લાં ૧૨  વર્ષથી.  બધા ઘરડાઓને  મળું છું. તેઓની મુશ્કેલીઓ જાણી તેમને મદદ કરવાનો પ્રયાસ કરું છું. હું તો એકવાર  ત્યાં  એમ જ ચાલ્યો ગયેલો. પણ પછી મને તો મઝા પડી. હવે તો ડોહીઓ વગર મને પણ નથી ગમતું અને તેમના અમારા વગર!”

અમે સુરતીઓ દર રવિવારે બહાર ફરવા જવામાં અને ફાસ્ટ ફૂડ ખાવામાં ઉસ્તાદ છીએ. તેવા સમયે ચંદ્રકાંતભાઈએ પોતાની મનગમતી પ્રવૃત્તિ માટે એક અલગ ખૂણો શોધી લીધો હતો!

” મદદમાં શું કરવાનું આવે?” મેં પૂછ્યું.

“મોટી ઉંમરને કારણે કે ઘરમાં કોઈ વડીલને રાખવા કે તેમની મુશ્કેલીઓ સમજી પ્રેમથી હલ  કરવાવાળું કોઈના હોય ત્યારે લોકો  વૃદ્ધાશ્રમમાં ઘરડાઓને મૂકી આવે! કહો કે નાંખી આવે છે! આ બધાં કેટલાક ઘરડાં બિચારા શરીરે અશક્ત અને બિમાર હોય તેઓની  રોજીંદી દૈનિક દેહક્રિયાઓ તેમની પથારીમાં પર જ કરે છે તો ક્યારેક થઈ જાય છે! આ  દરમિયાન ક્યારેક તેઓ શરીર પણ ગંદુ કરી નાંખે છે. ક્યારેક મૅનેજરનો ફોન આવે છે.  હું  જાઉં પછી તેઓના નવડાવું છું. પાઉડર ચોપડી આપું. તેમના ગંદા કપડાં ચાદર તકીયા થોડા  ધોઈને ચોખ્ખા કરી નાંખું છું. જેથી સફાઈ કામદારને સૂગ ન લાગે!!  તેઓને નવી ચાદર પાથરી નવા કપડાં પહેરાવી તૈયાર કરું છું. આ કામમાં મારી પત્ની એટલા જ સમભાવથી મને મદદ કરે છે તે પણ પોતાની મરજીથી !!.”

તેમણે એક સાથે મને અનેક આંચકા આપ્યા! જ્યારે આ રીતની સેવા કરવા ઘરનાં સ્વજનો નાકનું ટીચકું  ચઢાવતાં  હોય ત્યારે નિઃસ્વાર્થભાવે આ સેવા કાર્ય કરવું ઘણી મથામણ માંગી લેતુ કામ છે; પણ જો તેમાં પોતાની પત્નીનો આવો સહયોગ મળી રહેતો હોય તો એનાથી રૂડું બીજું શું?  (  ખાનગીમાં કહીં દઉં તો અને અત્રે ઉમેરી દઉં કે ચંદ્રકાંતભાઈના પત્ની એક શાળાના આચાર્યા છે!! અને ચંદ્રકાંતભાઈ બૂમ પાડે એટલે ઑફિસમાં બેલદાર હાજર હોય છે!)

“ક્યારેક ડોહીઓની દવા લઈ આવું છું. ક્યારેક એકાદને  બહાર ફરવા લઈ જાઉં છું. થોડા સમય પહેલાં બધી ડોહીઓને એક દાતા પાસે એક એક લૂગડું  અપાવ્યું. ને પછી થોડા દિવસ પછી તો ચણિયો-બ્લાઉઝ-ટુવાલ… બધું આપમેળે આવતું ગયું. હું તો સાચા સેવાભાવથી પ્રયત્ન કરું છું. ક્યારેક  તેઓને ભાવતી વસ્તુ ઘરથી અથવા બજારમાંથી લઈ જાઉં છું. રવિવારે સાંજે જઈને  એટલે  વૃદ્ધાશ્રમની બહારના બગીચામાં બેસીએ. તેઓ મારી અને મારી પત્નીની રાહ જોતી  બેઠી હોય. પછી તેમની સાથે મન ભરી વાત કરું છું. હળવો થઈ જાઉં છું કમલેશભાઈ!…” ચંદ્રકાંતભાઈના પ્રસન્નતાપૂર્ણ ચહેરા પર એક અજબનો સંતોષ છલકાતો હતો; જેની મીઠાશ તેમના હૈયાં સિવાય બીજા કોઈને થોડી પામવા મળે?!

ચંદ્રકાંતભાઈ એ આગળ વાત ચલાવી ” હમણાં થોડા દિવસ પહેલાં એક પૈસાદાર ભાઈ પોતાની માતાને અહીં મૂકવા આવેલા. મને મૅનેજરે ફોન કર્યો કે આ ભાઈને સમજાવવાનું કામ તમારું! હું ગયો. મેં કહ્યું જુઓ ભાઈ તમારી પાસે પૈસા છે. ઘર છે. એક રૂમ તમારી માને આપી દો.  તમારાથી કે તમારી પત્નીથી તમારી માનો ઝાડો પેશાબ સાફ ન થતો હોય તો ૨૫૦૦/- કે ૩૦૦૦/- કોઈ નર્સ કે જરૂરિયાતમંદ બહેન રાખી લો. એ  બહાને એક વ્યક્તિને રોજી મળશે. માને પોતાના સ્વજનો સાથે ઘરમાં રહેવાનું અને તનાવમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરવા પોતીકા માણસો મળી રહેશે. તે મનથી રાજી રહેશે અને તમને આશીર્વાદ આપશે  ને તમારા બચપણમાં પોતાના દિકરાના ઝાડા પેશાબ  સાફ કરેલા તેનું થોડું ઘણું વળતર મળશે. અને કમલેશભાઈ પેલાં ભાઈ જ્યારે પોતાની માને પરત સાથે લઈ ગયા ત્યારે હું તો રાજીરાજી!”

“ગઈ કાલે મારી દીકરી જેને મેં ઘર મૉર્ગેજ પર મૂકી પગપાળા નોકરી કરવાની તૈયારી સાથે અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા મોકલી હતી તેણે પોતાનો ખર્ચ જાતે કાઢવા માંડ્યો છે તેથી એક જૂની વાન લઈ લીધી છે. ..જેથી  રવિવારે ડોહીઓને સાથે ફરવા લઈ જવી હોય તો જઈ શકાય…અમે છેલ્લા સાત આઠ વરસથી નવું વરસ તેમની સાથે જ ઉજવીએ છીએ…છેલ્લે ગયો ત્યારે મેં જોયું કે એકાદ બે જણને ચાલવાની તકલીફ પડે છે તેથી મને  આ વૉકીંગ સ્કીકનો વિચાર આવ્યો…કોઈને કોઈ તો હરિનો લાલ દાતા મળી જશે જ! ” તેમણે આત્મવિશ્વાસથી ભરપૂર અવાજે કહ્યું.

મને ક્ષણવાર માટે મારા અપંગ પિતાશ્રીનું સ્મરણ થયું…અને  ચંદ્રકાંતભાઈને આ માનવ સેવાના અમૂલ્ય કાર્યમાં નાનકડા યોગદાન દેવા અચાનક જ મારા અંતરના ઊંડાણમાંથી  દ્રવિત હૈયે શબ્દો સરી પડ્યા, “ચંદ્રકાંતભાઈ! ચિંતા ના કરશો એ વૉકીંગ  સ્ટીક માટે દાતા તમને મળી ગયો! “

ચંદ્રકાંતભાઈનો  લાગણીથી તરબતર આ “ડોહી” શબ્દ મને આટલો  મીઠો લાગ્યો તો પછી એ ડોશીઓને ચંદ્રકાંતભાઈનો આ “ડોહી” શબ્દ   કેટલો વ્હાલો અને પોતીકો  લાગતો હશે! અને એથીય વ્હાલા  હશે  ચંદ્રકાંતભાઈ અને તેમના પત્ની…કદાચ  પોતાની જાતના જણતરથીય વધુ !!

√  ‘Do not let this chain of love end with you.’

———————————————————————————————-

મિત્રો

જેમના એક લેખની માહિતીને આધારે હું બ્લૉગ પર ગુજરાતીમાં લખતો થયો  એવા મિત્ર હિમાંશુભાઈ ના નવા સુંદર બ્લૉગ – સાયબરસફર- પર આપણને રસ પડે એવી સ્ટોરી છે જે અગાઉ ચિત્રલેખામાં પ્રકાશિત થઈ ચૂકી છે… પ્રેરક પહેલ વિભાગમા એ મળશે. લિંક આ સાથે મૂકી રહ્યો છું.

એ પાથરે અંધ આંખે અજવાળા
http://www.cybersafar.com/index.php/prerak-pahel/181-2009-01-04-03-32-52.html

ઇન્ટરનેટ પર રક્તદાન
http://www.cybersafar.com/index.php/useful-services/46-blood-donation.html

  1. bhargav vyas
    18/12/2008 at 6:04 PM | #1

    કમલેશભાઈ

    ખૂબ ખૂબ અભિનંદન શ્રી ચંદ્રકાંતભાઈ! તમે જે સેવાનું કામ કરો છે તે માટે તમે સાચે જ અભિનંદનના અધિકારી છો. પોતાના સ્વજનો કરતા ચંદ્રકાંતભાઈ એ – ડોહીઓ-ને વહાલા હોય જ જ્યારે તમે આવું સરસ માનવતાનું કામ કરો છો..

    કમલેશભાઈ આવી વાતો ઉજાગર કરતા રહેશો.

  2. meena patel
    19/12/2008 at 12:31 PM | #2

    સલામ છે ચન્દ્રકાન્તભાઇ અને તેમના પત્ની ને ! આજ ના કલિયુગમા જ્યારે પોતીકા સ્વજનો જ ઘરડા મા- બાપ નુ ધ્યાન રાખી શક્તા નથી, ત્યારે આવા વિરલ સ્વજનને ૧૦૦ સલામ કરવી જ પડે. આવી પોસ્ટ આપતા રહેશો.

  3. zankhna
    21/12/2008 at 2:29 PM | #3

    hiiiiii i m a daughter of chandrakant patel!!!! thank you so much….

  4. shraddha
    02/06/2009 at 3:49 PM | #4

    very good effort!!! honestly they are doing a nice work. kamleshbhai u ve done a great job by informing others abt such a great people.

  5. dinesh vakil
    08/08/2009 at 8:57 PM | #5

    abhinandan.. chandrakantbhai patel ne kamaleshbhai, abhinandan…

    100 … 100 salam.. tamara karya ne vanchi ne bahuj anand thayo. sathe sathe awa kamo karavani prerana
    mali jena mate hin aap no runi chun.

  6. PH Bharadia
    01/09/2009 at 2:49 PM | #6

    Kamlesh Bhai,
    It was thrilling and with full of emotion to read Chandrakant Bhai’s unselfish service to old and feeeble
    MAJIS(DOHI O),his wife is also be honoured and congratulated,here it reminds Kabir’s DOHA
    ‘NEKI KAR AUR DARIYA MEIN DAL’

    It reminds us all ‘MANAVTA MARI PARVARI NATHI’.

    My miillions of ‘VANDANS’ to Chandrakant Bhai and his wife.

    -Prabhulal Bharadia,Croydon,UK

  1. No trackbacks yet.